દેવગઢબારીયા ખાતેથી રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને ઝાલોદ ખાતેથી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રસીકરણનો કરાવ્યો પ્રારંભ
વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં ૮૦૦૦ આરોગ્યકર્મીઓને રસીકરણ માટે વહીવટી તંત્રનું સુચારૂ આયોજન
દાહોદ, તા. ૧૬ : કોરોના મહામારીના અંતનો આરંભ આખરે થઇ ચુક્યો છે. ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજના ઐતિહાસિક દિવસે દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતેથી કોરોના વેક્સિનેશનનો પ્રારંભ દાહોદમાં કરાવ્યો છે. દાહોદના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ ડો. મોહિત દેસાઇએ સૌપ્રથમ વેક્સિન લીધી હતી. જિલ્લામાં સૌપ્રથમ વેક્સિન લેનારા ડો. મોહિત દેસાઇને પ્રમાણપત્ર અને બેઇઝ આપીને રાજયમંત્રી શ્રી જાડેજાએ સન્માનયા હતા.

આ ઐતિહાસિક અવસરે રાજયમંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે, કોરોના મહામારીના અંતનો આ આરંભ છે. આજનો દિવસ એ રીતે પણ ગૌરવવંતો છે કે આપણા દેશમાં જ બનાવવામાં આવેલી કોરોના વેક્સિનથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી સામે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી લડાઇમાં તબીબી, સફાઇકર્મીઓ, પોલીસકર્મીઓ સહિતના કોરોના વોરિર્યસનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમના યોગદાનને કદી ભૂલી શકાશે નહી.
તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી સામેની આ લડાઇ મેં ખૂબ નજદીકથી જોઇ છે. મહામારીના કસોટીના સમયમાં પણ નાગરિકોનો સયંમ અને ધીરજ પ્રશંસનીય રહ્યા. કોરોના વેક્સિન આપણને આ કપરા સમયના અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જશે એ સપષ્ટ છે. આ અસાધારણ પડકારના સમય બાદ ટૂંક સમયમાં વેક્સિન થકી સંજોગો સામાન્ય થઇ જશે અને જનજીવન પૂર્વવત થશે. દેશ પ્રગતિના માર્ગ પર ફરીથી અગ્રેસર થશે.

આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પણ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
દાહોદ જિલ્લામાં પ્રથમ તબક્કાના રસીકરણમાં ૮૦૦૦ ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને રસી આપવામાં આવશે. દાહોદમાં જુદા જુદા ચાર સેશન સેન્ટર ખાતેથી ૪૦૦ જણાને રસી આપવામાં આવશે. એટલે કે એક સેશન સેન્ટર ખાતેથી ૧૦૦ આરોગ્યકર્મીઓને રસી અપાશે. જિલ્લામાં ૪ વેક્સિનેશન સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા અને દેવગઢ બારીયા ખાતેથી આજ રોજ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

દેવગઢ બારીયા ખાતેના રસીકરણ સેન્ટરથી રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે રસીકરણનો આરંભ કરાવ્યો હતો. ઉપરાંત ઝાલોદ ખાતેથી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રસીકરણનો આરંભ કરાવ્યો હતો. જયારે ફતેપુરા ખાતેના સેન્ટરથી ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારાએ રસીકરણની શરૂઆત કરાવી હતી.
આ રસીકરણ કેન્દ્ર ખાતે સૌ પ્રથમ વ્યક્તિનું નામ-ઠામ વગેરે નોંધીને રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યાર બાદ વ્યક્તિને ૦.૫ એમએલનો વેક્સિનનો એક ડોઝ આપવામાં આવે છે. ત્યાર બાદ અડધો કલાક સુધી વ્યક્તિને નિરિક્ષણમાં રાખ્યા બાદ બેઇઝ અને પ્રમાણપત્ર આપીને રજા આપવામાં આવે છે. ત્યાર બાદ જે તે વ્યક્તિએ ૨૮ દિવસ બાદ ફરીથી વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહેશે. ઇન્ટ્રામસ્કયુલર પદ્ધતિથી કરવામાં આવતા આ રસીકરણથી શરીર પર કોઇ પણ પ્રકારની નિશાની રહેતી નથી.

આજના પ્રસંગે ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા, સ્નેહલભાઇ ધરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા ઉપરાંત ડો. સંજીવકુમાર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network
Subscribe to get the latest posts sent to your email.
Khabar 24 Express | India's Leading Hindi News Network Khabar 24 Express brings the latest Hindi News, Breaking News, Live TV, India News, Maharashtra News, Nagpur News, Politics, Crime, Business, Sports, Entertainment, Technology, Auto, Health, Education, Lifestyle and World News with fast, accurate and trusted updates 24×7