
ખાસલેખ – દર્શન ત્રિવેદી
દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા એવા ભારતીય બંધારણનો આપણે સૌએ સ્વીકાર કર્યાના અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. પ્રજાસત્તાક દિને પોલીસ તંત્ર દ્વારા ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે.
દાહોદમાં આવેલા પ્રજાસત્તાક દિનની પરેડના નોડેલ અધિકારી એવા નાયબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ પરમારે કેટલીક રસપ્રદ માહિતી આપી. ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વોલી ફાયરિંગ કરવામાં આવશે. જેને ગુજરાતીમાં હર્ષધ્વની તરીકે પણ ઓળખવામાં આવે છે. વોલી ફાયરિંગ મૂલઃ તિરબાજોની એક પ્રકારની યુદ્ધની રણનીતિ છે. વોલી શબ્દ લેટિન શબ્દ વોલર ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ ઉડવું એવો થાય છે. એવું માનવામાં આવે છે કે વોલી ફાયરિંગ યુદ્ધનીતિ ગ્રિકો દ્વારા ઉપયોગમાં આવતી હતી.

જેમાં હરીફો ઉપર એક ટ્રુપ દ્વારા વારાફરતી વારંવાર બાણવર્ષા કરવામાં આવે છે. જેથી દુશ્મનો ઉપર રીતસર બાણનો વરસાદ થઇ જાય. બાદમાં દારૂગોળાની શોધ થઇ. એટલે, વોલી ફાયરિંગ તોપ સાથે જોડાઇ ગયું. ભારતમાં આ પરંપરા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દાખલ થઇ. વળી, અંગ્રેજોએ ભારતના રજવાડાઓને તેના રાજ્યના કદના આધારે તોપોની સલામી આપવાનું નિયત કર્યું હતું. કોઇ રાજાને પાંચ તોપની તો કોઇ રાજાને ૨૧ તોપની સલામી આપવામાં આવતી હતી. એટલે અંગ્રેજી અમલદારો તોપો ફોડીને રાજાઓ પ્રત્યે સન્માન અને હર્ષની લાગણી વ્યક્ત કરતા હતા. હવે, આ જ પરંપરા સુરક્ષા જવાનોએ તિરંગાની શાનને કેન્દ્રમાં બરકરાર રાખી છે.
એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક તથા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર રાજ્યના જિલ્લા મથકોએ ઉજવણી કરવાની પહેલ કરી હતી. તે પહેલના ભાગરૂપે દાહોદમાં બીજી વખત રાજ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે.

આગામી તા. ૨૬ના રોજ અહીંના નવજીવન કોલેજના મેદાનમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલી ૧૨ પૈકી એક પ્લાટૂન વોલી ફાયરિંગની પણ છે. જેમાં ૩૦ જેટલા પોલીસ જવાન જોડાયા છે. જે હર્ષધ્વની કરવાના છે. તિરંગાને સલામી અપાયા બાદ આ જવાનો ૩૦૩ બંદૂકમાંથી ફાયરિંગ કરી રાષ્ટ્રધ્વજને સન્માન આપશે. કોઇના પ્રત્યે સર્વોચ્ચ માન આપવાની આ પ્રથા અનોખી છે. દાહોદમાં લગભગ ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સન્માન આપવામાં આવશે.
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323
Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network
Subscribe to get the latest posts sent to your email.
Khabar 24 Express | India's Leading Hindi News Network Khabar 24 Express brings the latest Hindi News, Breaking News, Live TV, India News, Maharashtra News, Nagpur News, Politics, Crime, Business, Sports, Entertainment, Technology, Auto, Health, Education, Lifestyle and World News with fast, accurate and trusted updates 24×7